DIAMOND TIMES –સુરતના હીરા ઉદ્યોગ માટે અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નવરત્ન ગેલેરીના ઓપનિંગ માટે જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ,વાઈસ ચેરમેન વિપુલ શાહ,ડાયમંડ કમિટીના સંજયભાઈ શાહ,દીનેશભાઈ નાવડીયા સહીતના જીજેઇપીસીના હોદીદારોએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. જ્યા જીજેઇપીસીના હોદ્દેદારો, સુરત ડાયમંડ બુર્સના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર અને પાયાના પત્થર સમાન અગ્રણીઓ તેમજ મોટા ઉદ્યોગ પતિઓ વચ્ચે બંધબારણે અગત્યની મીટીંગ મળી હતી.
સુરત ડાયમંડ બુર્સની મુલાકાત અંગે પ્રતિભાવ આપતા જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે સુરત ડાયમંડ બુર્સની સવલતો અને વિશાળતા અંગે ઘણી વાતો સાંભળી હતી.પરંતુ આજે ડાયમંડ બુર્સની ભવ્યતાને નજરો નજર નિહાળીને ભારે પ્રભાવિત થયો છે.ડાયમંડ બુર્સના સંકલ્પને સાકાર કરવા સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે એ સ્પષ્ટ દેખાઈ છે.
જીજેઇપીસીના હોદ્દેદારો,સુરત ડાયમંડ બુર્સના કેટલાક અગ્રણી મેમ્બર્સ તેમજ હીરા ઉદ્યોગપતિઓ વચ્ચે બંધ બારણે મળેલી બેઠક અંગેની વિગત આપતા કોલિન શાહે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગામી વર્ષમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ ડબલ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. જેને સાકાર કરવા ઉદ્યોગમાં પ્રવર્તમાન વિવિધ સમસ્યાઓનું નિવારણ લાવવા સરકારના વિવિધ વિભાગોમાં અસરકારક રજુઆત કરવા,નવી સવલત ઉપલબ્ધ કરાવવા સહીતની રણનીતી ઘડવા આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તેમણે નવરત્ન ગેલેરીની કામગીરી અંગે પણ માહીતી આપી હતી.