ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલીડોસ્કોપ સિરીઝ અંતર્ગત ‘રીચેસ્ટ પર્સન બનવા માટેની સામાન્ય ટેવો ’ વિષય ઉપર આયોજીત સેમિનારમાં અશ્વી કન્સલ્ટન્સી સર્વિસના સીઇઓ અને નિષ્ણાંત વકતા ગણપતભાઈ ધામેલીયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું
DIAMOND TIMES –આ સેમિનારમાં ઉપસ્થિત ચેતના સભર યુવાઓને પ્રેરણા આપતા ગણપત ધામેલીયાએ કહ્યુ કે કોલેજનો અભ્યાસ પુર્ણ કરતાની સાથે જ યુવાનો નોકરીએ જોડાય એટલે પાંચ આંકડામાં પગાર મળે તેવી અપેક્ષા રાખે છે.પરંતુ કમાણીને બદલે કામ પ્રત્યે ધગશ કેળવી નોલેજમાં વધારો કરવા ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.કારણ કે વર્તમાન આધુનિક સમયમા ’ નોલેજ ઇઝ પાવર ’ નુ સુત્ર સાર્થક છે. આજના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે જેથી યુવાનોએ સારી આદતો કેળવવી જોઇએ.કઠોર પરિશ્રમ,માનવ કલ્યાણની ભાવના સાથે નિર્ધારીત લક્ષ્ય હાંસિલ કરવાનો દૃઢ નિશ્ચય જ કરોડપતિ બનવાનો પાયાનો સિધ્ધાંત છે.
ગણપત ધામેલીયાએ વધુમાં કહયું હતું કે તમે મહિને કેટલા કમાવો છો,કેટલા કમાવવા માગો છો તેમજ જે કમાવવા માગો છો એના માટે કેટલી મહેનત કરવી પડશે તે અંગે સેલ્ફ એનાલિસિસ કરવા સમય કાઢી જાત સાથે સંવાદ કરતા રહેજો.બધાને જ દિવસમાં એકસરખા ર૪ કલાક જ મળે છે.પરંતુ સમયનો સદુપયોગ કરીને કેટલાક જીવનમાં ઘણા આગળ નીકળી જાય છે તો મોટાભાગના પાછળ રહી જાય છે.
ગણપતભાઈએ યુવાનોને જાપાનના સોઇચીરોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સોઇચીરોએ વિશ્વને બેસ્ટ એન્જીન આપવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું હતું અને તેના ઉપર જ કામ કરવાની આદત કેળવી હતી.અંતે તેમણે દુનિયાને બેસ્ટ એન્જીન આપ્યું જેને પરિણામે વિશ્વને હોન્ડા જેવી કંપની મળી શકી.મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ આપતા તેમણે કહયું હતું કે આત્મવિશ્વાસ હોય તો સામાન્ય વ્યકિત પણ મહાત્મા બનીને દેશના રાષ્ટ્રપિતા બની શકે છે.વિશ્વને આજે જે અબજોપતિ મળ્યા છે તેઓના જીવનનું ધ્યેય માત્ર રૂપિયા કમાવવાનું કયારેય ન હતું.તેઓ માનવ ઉત્થાનને ધ્યાનમાં રાખીને કામ કરતા ગયા અને આજે અબજોપતિ બની ગયા છે.આથી દરેક માનવીનું ભલુ વિચારવાની આદત કેળવવા તેમણે યુવાનોને સલાહ આપી હતી.
આ સેશનમાં ચેમ્બરના ગૃપ ચેરમેન પરેશ લાઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સેશનના અંતે ચેમ્બરની ડેટાબેંક કમિટીના ચેરમેન મિલન ભિંગરાડીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.