જામનગર મ્યુનિ. ચૂંટણી : મતદાન કરવા આવેલા સાંસદ પૂનમ માડમે વયસ્ક નાગરિકોની કરી મદદ

127

ડાયમંડ ટાઈમ્સ

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 માં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકની ચૂંટણી માટે 236 વચ્ચે જંગ ચાલી રહ્યો છે. જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ભાજપ 64, કોંગ્રેસ 62, આપ 48 અને અપક્ષ 27 ઉમેદવારો મેદાનમાં છે.2 વાગ્યા સુધી સરેરાશ મતદાન 21.83 થયું છે. જેમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 28.05 ટકા થયું છે.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 માં એક વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા અને ચાલી ન શકતા હોવાના કારણે તેની સાથે એક વ્યક્તિ પણ હાજર રહ્યા હતા અને ઘોડીના સહારે મતદાન મથક ઓર પહોંચીને ટેકાના સહારે મતદાન કર્યું હતું અને મતદાન કરવા આવેલ વૃદ્ધ અચૂક મતદાન કરતા હોય ત્યારે આ વખતે પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા અને લોકોને પણ અપીલ કરી કે તમામ લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાન કરવું જોઈએ.

જામનગરના સાંસદ પૂનમ માડમ પણ મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ વયસ્ક નાગરિકોની મદદ કરવા જોવા મળ્યા હતા. મતદાન બૂથ પર તેમણે મતદાન કરવા આવેલા વૃદ્ધાને મદદ કરી હતી. તેઓ વૃદ્ધાનો હાથ પકડીને તેમને મતદાન મથક સુધી દોરી ગયા હતા. આમ વૃદ્ધ મહિલાને મતદાન કરવાનો ઉત્સાહ બતાવતા સાંસદે માનવતા મહેકાવી હતી. તો સાથે જ જામનગરમાં રાજ્યમંત્રી હકુભા જાડેજાએ પણ પરિવાર સાથે વોર્ડ નંબર 5માં મતદાન કર્યું હતું.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 645 મતદાન મથકો છે. જેમાં 312 સંવેદનશીલ અને 11 અતિ સંવેદનશીલ છે. જામનગરમાં મતદાન માટે 3 હજારથી વધુનો સરકારી સ્ટાફ અને 2200 સુરક્ષકર્મીઓ તૈનાત કરાયા છે. મનપાની ચૂંટણીમાં કુલ 4,76,668 મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, જામનગર મનપામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે હવે સત્તા પલટો થાય છે કે સત્તાનુ પુનરાવર્તન થાય છે તેના પર સૌની નજર છે.

ભાજપના એક ઉમેદવારે ઘોડા પર સવાર થઈને મતદાન કર્યું

જામનગરમાં વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવાર ફિરોજ પતાણી ઘોડા પર સવાર થઈને મતદાન કરવા નીકળ્યા હતા. આમ તેમણે અનોખી રીતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. બેડેશ્વર વિસ્તારમાં આવેલા મતદાન મથક પર ઘોડા પર બેસી મતદાન કરવા પહોંચ્યા હતા.જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.તો બીજી તરફ, જામનગરમાં ભાજપની ફરીથી જીત થશે તેવો દાવો ભાજપ શહેર પ્રમુખે કર્યો છે.મતદાન આપવા આવેલા ભાજપના શહેર પ્રમુખ વિમલ કગથરાએ કહ્યું કે, 64 માંથી 50 થી વધુ બેઠકો પર ભાજપની જીત થશે. મનપામાં સતત છઠ્ઠીવાર ભાજપની જીત થશે.