( તસ્વીર અને અહેવાલ : રાકેશ બોદરા )
DIAMOND TIMES – થોડા દીવસ પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો આગામી 18 મી મે સુધી અમલી છે.આ નિયંત્રણ હેઠળ એકસપોર્ટ- ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમો સહીત રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ રાખવાનો આદેશ છે.જેના પગલે હીરાના કારખાનાઓ અને હીરાની ઓફીસો કાર્યરત છે,પરંતુ મીની બજાર,જેરામ મોરાની વાડી,મહીધરપુરા સહીતના હીરા બજારો બંધ છે.
મીની લોકડાઉન બાબતે સરકારના આદેશ અંગે હીરા કારોબારીઓમાં ઉગ્ર રોષ છે.હીરા બજારમાં કામ કરતા કેટલાક દલાલ ભાઈઓ અને વેપારીઓનું કહેવુ છે કે લોકડાઉન મુદ્દે એકને ખોળ અને બીજાને ગોળ જેવી સરકારની વિસંગત નીતી છે.પરિણામે સરકારના આદેશની અવગણના કરીને કેટલાક હીરા કારોબારીઓ અને દલાલભાઈઓએ હીરા બજારમાં કામકાજ ચાલુ રાખ્યા હતા.જેનાથી કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થતા હોવાના અહેવાલના પગલે આજે પોલિસ દ્વારા મહીધરપુરા હીરા બજારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.