DIAMOND TIMES – ભારતમાથી વિદેશમા થતી હીરા ઝવેરાત સહીતની વિવિધ ઉત્પાદનો અને ચીજ વસ્તુઓની નિકાસ વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો,ચેમ્બર્સ ઓફ કોમર્સ સહીત જીજેઈપીસી અને અગ્રણી હીરા ઉદ્યોગકારો સાથે વર્ચ્યુઅલ ઇન્ટરેક્ટિવ બેઠક યોજી હતી.2021-22 માં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસને 400 અબજ ડોલર સુધી પહોંચાડવા અને વિસ્તૃત કરવા આ કોન્ફરન્સમાં મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
કોન્ફરન્સમાં જોડાયેલા હીરા અને ઝવેરાત ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત પાસે અપાર સંભાવનાઓ છે. મુખ્ય ચાર નિકાસકાર ક્ષેત્રોમાં સમાવિષ્ટ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં નવા શોધ સંશોધન દ્વારા નિર્મિત આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ ક્ષેત્રમાં ભારત વૈશ્વિક ચેમ્પિયન બની શકે તેમ છે. આધુનિક મશીનરી દ્વારા હીરા અને ઝવેરાતનું ઝડપી અને ગુણવત્તા યુક્ત ઉત્પાદનથી આંતરરાષ્ટ્રીય માંગ વધારી શકાય છે.જેને ધ્યાનમાં રાખી હીરા અને ઝવેરાત સેક્ટરમાં વેલ્યુ એડિશન વર્ક માટે ટેક્નોલોજી અને ઇન્ડિજિનિયસ મશીનરી ડેવલપ કરવામાં આવે તો ભારત ચીનને હરીફાઈમાં પછાડી શકે છે.ચીન પાસે આધુનિક ટેક્નોલોજી યુક્ત મશીનરી હોવાથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને વેલ્યુ એડિશનમાં આપણાથી તે ખુબ આગળ નીકળી ગયું છે. ઉલ્લેખનિય છે કે વર્તમાન સમયે હીરા અને ઝવેરાતની નિકાસ 37.4 અબજ ડોલર છે.પરંતુ નાણાકીય વર્ષ 21-22માં તેની નિકાસ 44 અબજ ડોલર સુધી વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનના સંબોધનથી ઉદ્યોગ સાહસિકોનું મનોબળ વધ્યુ છે : કોલિન શાહ
GJEPC ના ચેરમેન કોલિન શાહે કહ્યું કે હું માનું છું કે વડા પ્રધાનના આ સંબોધનથી ઉદ્યોગ સાહસિકોના મનોબળ અને આત્મ વિશ્વાસમાં વધારો થયો છે.વડાપ્રધાને 2021-22 માં 400 અબજ ડોલરની નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે. મને ખાતરી છે કે હીરા અને જ્વેલરી ક્ષેત્રમાં આ સિધ્ધિ મેળવવા આપણે સહુ સાથે મળીને સકારાત્મક ભૂમિકા ભજવવા કામ કરીશું.
કોલિન શાહે ઉમેર્યુ કે અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોમાં પુન રિકવરી વધી રહી છે.વળી અમારી પાસે જબરદસ્ત સ્થાનિક નેટવર્ક છે.અમને વિશ્વાસ છે કે ભારત સરકારના સમર્થનથી ભારતીય નિકાસકારો નિર્ધારિત લક્ષ્યાંક હાંસિલ કરવા વિદેશોમાં હીરા-ઝવેરાત પ્રદર્શન કરી શકશે.ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વૈશ્વિક મોરચે હરીફાઈનો મજબુતીથી સામનો કરી શકે એ માટે નીતિગત સુધારા માટે અમે સરકારને વિનંતિ કરી છે. જેમા બિઝનેસમાં સરળતા લાવવા , બેંકો દ્વારા પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવા, કરવેરાનું તર્ક સંગતકરણ અને અનુકુળ સેઝ નીતિઓ ઘડવા, આ ક્ષેત્રને એફડીઆઈ અને વિશ્વ દ્વારા મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવા સહીતના સુચનો સામેલ છે.અમને પુર્ણ વિશ્વાસ છે કે સરકારના સહયોગથી ભારતને ચીન,થાઇલેન્ડ, વિયેતનામ અને તુર્કી જેવા સ્પર્ધકોની સમકક્ષ લાવવામાં મદદ મળશે.
