ચેમ્બર દ્વારા ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે યોજાયેલા ઇન્ટરેકટીવ સેશનમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસિસ સહીતની સમસ્યાના નિવારણ માટે કરેલી રજુઆત પછી તેના ત્વરીત ઉકેલ માટે ટેલીકોમ્યુનિકેશન વિભાગ દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે.વિભાગ દ્વારા ટીએસપીના ડ્રાઇવ ટેસ્ટ કરાયા પછી હવે એકશન પ્લાન બનાવી કનેકટીવિટી ઇમ્પ્રુવ કરાશે.ઉપરાંત ગ્રાહકો દ્વારા સર્વિસિસ અને રીફંડ વિશેની વિવિધ ફરિયાદના નિકાલ માટે ડાયરેકટર વિકાસ દઢીચે સૂચના આપી દીધી છે.
DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે બ્રોડબેન્ડ – ઇન્ટરનેટ સર્વિસિસ માટે ઓપન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદથી ડિપાર્ટમેન્ડ ઓફ ટેલીકોમ્યુનિકેશનના ડાયરેકટર (ટેકનોલોજી)વિકાસ દઢીચ તથા એડીઇટી (ટેકનોલોજી)અજય કોઠારી અને સુર્યાંશ કોઠારી ઉપસ્થિત રહયા હતા.આ ઓપન હાઉસમાં બ્રોડબેન્ડ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કરતા જીટીપીએલ, હાથવે, યુ બ્રોડબેન્ડ, ઇશાન નેટ્સઓલ કંપનીના પ્રતિનિધીઓ પણ પણ હાજર રહયા હતા.
ડાયરેકટર વિકાસ દઢીચે જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા અઠવાડિયા પહેલા ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમની સમક્ષ રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે તેમના વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.ગ્રાહકોને નેટવર્કની સુવિધા મળી રહે તે માટે વિભાગ દ્વારા ટીએસપીના ડ્રાઇવ ટેસ્ટ કરાયા છે.આ ડ્રાઇવ ટેસ્ટને કારણે બીએસએનએલ, વોડાફોન અને જીઓના જે પોકેટમાં ઇશ્યુ મળ્યા છે ત્યાં નિરાકરણ લાવવા ની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.હવે એકશન પ્લાન બનાવવામાં આવશે અને કનેકટીવિટી ઇમ્પ્રુવ કરાશે.
તેમણે બ્રોડબેન્ડ-ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે તેની સર્વિસિસ અને સ્કીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે કહયું કે નવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર હોય તો તેઓને લાયસન્સ લેવાનું હોય છે.આ નવા લાયસન્સ માટેની માહિતી ચેમ્બરથી પણ મળી રહેશે.ગ્રાહકોને ટેલીકોમ્યુનિકેશન સર્વિસ સારી મળી રહે તે માટે હવે ઓપ્ટીકલ ફાયબર આવી ગયા છે.જેથી ગમે તેટલી સ્પીડ મેળવી શકાય છે.તેમણે કહયું કે ગુજરાતમાં પ્રથમ ગાંધીનગર અને જામનગર ખાતે ફાઇવ જી ડ્રાઇવ ટેસ્ટ કરવામાં આવશે.
ઓપન હાઉસમાં ગ્રાહકો દ્વારા નેટવર્ક નહીં મળતું હોવાની તેમજ રીફંડ મેળવવા માટે પડતી મુશ્કેલીઓ વિશે ફરિયાદો કરી હતી. સર્વિસ નહીં આપી હોવા છતાં રીફંડ અટકાવી રાખવામાં આવતી હોવાની પણ ફરિયાદ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. આથી ડાયરેકટર વિકાસ દઢીચે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી. સાથે જ વર્ષભરનું ઇન્ટરનેટ લેતી વખતે ગ્રાહકોએ રાખવામાં આવતી સાવચેતી વિશે માહિતી આપી હતી. ફરિયાદોનું નિરાકરણ નહીં આવે તો તેમણે કેન્દ્ર સરકારના પબ્લીક ગ્રેવન્સ સેલનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.