ડાયમંડ ટાઈમ્સ
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાવધતા કેસ જોતા સોથી વધુ પ્રભાવિત યવતમાલ જિલ્લામાં ફરીથી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. હવે જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે. યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવાર રાતથી દસ દિવસ માટે આ આદેશ જાહેર કર્યો છે.યવતમાલમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ વધી રહી છે.જિલ્લામાં ડિસેમ્બર મહિનાથી લઈને 29 જાન્યુઆરી સુધીમાં 25 દર્દીઓના મોત થયા હતા પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ઘણો વધી ચૂક્યો છે.આ બાજુ અમરાવતી જિલ્લામાં પણ કોરોનાના પગલે આકરા પગલાં લેવાયા છે.સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 13,193 દર્દીઓ નોંધાયા છે.આ સાથે કુલ કેસનો આંકડો 1,09,63,394 પર પહોંચ્યો છે.
યવતમાલ, અમરાવતી અને અકોલામાં કોરોના સંક્રમણ છેલ્લા કેટલાક દિવસથી ખુબ વધ્યું છે. યવતમાલ, પંઢરકવડા અને પુસદમાં કોરોના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ ત્રણ જગ્યા પર પ્રતિદિન 500ની આસપાસ દર્દીઓ આવી રહ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં વધતા મોતના આંકડાને જોતા ડીન પાસે ડેથ ઓડિટ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાથી થતા મોતના ઓડિટ રિપોર્ટને રજુ કરવાનું કહેવાયું છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે હાઈ રિસ્ક અને લો રિસ્ક એરિયા મુજબ શહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર અમરાવતી જિલ્લામાં મેડિકલ અને જરૂરી સેવાઓને છોડીને બધુ બંધ રહેશે. અમરાવતીના ક્લેક્ટર શૈલેશ નવાલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.