DIAMOND TIMES- સોનાના દાગીના પર હોલમાર્ક અનિવાર્ય કર્યા પછી હવે આગામી મહીનાઓમાં ચાંદીના દાગીના પર પણ ફરજીયાત હોલમાર્ક નો નિયમ લાગુ થશે.આમ કરવા પાછળનો સરકારનો હેતુ સોના અને ચાંદીના કુલ દાગીનાના વેંચાણની જાણકારી મેળવવાનો છે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ આ અંગે આગામી જાન્યુઆરી-2022 પહેલા તમામ કાર્યવાહી પુર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.
ત્રણ જાન્યુઆરી-ર૦રર પહેલા ચાંદીના દાગીના પર પણ ફરજીયાત હોલમાર્ક કરવા જ્વેલર્સને પૂરતો સમય મળી રહે તેને ધ્યાને રાખીને બીઆઈએસ (બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) દ્વારા પણ સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવાયું છે.સોના-ચાંદીના દાગીનામાં થતી ભેળસેળ અટકાવવાની સાથે તેના વેંચાણની સચોટ જાણકારી મળી રહે તે માટે ફરજીયાત હોલ માર્કનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે હોલમાર્ક સેન્ટર દ્વારા દાગીનાના હોલમાર્કનું સર્ટિફિકેટ આપવામાં આવે એટલે તેની જાણકારી ઓનલાઈન જ સરકારને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.
સોનામાં HUID કોડથી ત્રણસો ટન સોના પર રહેશે સરકારની બાજ નજર
ગ્રાહકોને શુધ્ધ સોનુ મળી રહે તેમજ વિદેશમાથી ભારતમાં આયાત થતા કુલ સોનાના જથ્થા પૈકી પ્રતિવર્ષ 300 ટન સોનાની બિલ અને ટેક્સ વગર થતી લેવડદેવડ અને બ્લેક મની પર પણ અંકુશ લાદવા સરકારે સોનામાં ફરજીયાત હોલમાર્કિંગ અને HUID કોડ અમલી બનાવી એક સાથે અનેક નિશાન પાર પાડયા છે.
સરકાર દ્વારા બે ગ્રામથી વધુ વજનની સોનાની જ્વેલરી તેમજ મૂર્તિઓના વેચાણ પહેલા હોલમાર્કિંગ ફરજીયાત બનાવ્યુ છે.આ નવા નિયમથી ગ્રાહકોને શુધ્ધ સોનું મળવાની સાથે આ કાયદાના અમલ થકી સરકાર દેશમાં થતા સોનાના ગેર કાયદે વેપાર પર અંકુશ લાવવા માંગે છે. ડેટા મુજબ દેશમાં પ્રતિ વર્ષ અંદાજે 800 થી 850 ટન સોનાની આયાત થાય છે.જે જથ્થા પૈકી અંદાજીત પાંચસો ટન સોનાનો ઉપયોગ જ્વેલરી બનાવવામાં થાય છે.જ્યારે બાકીના સોનાની કોઈ પણ જાતના બિલ કે ટેક્સ વગર લેવડદેવડ થતી હોય છે.સરકારની બાજ નજર આ 300 ટન સોના પર કેન્દ્રીત છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના બિલ વગર કાળા નાણાં થકી સોનામાં થતા વ્યવહારથી સરકારી તિજોરીને ફટકો પડવાની સાથે કાણા નાણાના સરક્યુલેશનમાં વધારો થાય છે.
દક્ષિણ ગુજરાતમાં હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા પુરતી : મહેશભાઈ ધામેલિયા (સુરત હોલમાર્કીંગ સેન્ટર)
આગામી સમયમા સોનાના દાગીનાની સાથે ચાંદીના દાગીના પર પણ ફરજીયાત હોલમાર્કનો નિયમ લાગુ થશે.જેથી હોલ માર્કીંગ સેન્ટર તરફથી હોલમાર્કીંગની કામગીરીમાં ઢીલ થવાની વાતનો છેદ ઊડાડતા સુરત હોલમાર્કીંગ સેન્ટરના મહેશ ભાઈ ધામેલિયાએ કહ્યુ કે દક્ષિણ ગુજરાતમાં હોલમાર્ક કેન્દ્રોની અછતની કોઇ સમસ્યા નથી.હોલમાર્કીંગની કામગીરી કરવા તમામ રીતે સક્ષમ છીએ. જો કોઇ સમસ્યા હોય તો યુનિટ આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) નંબર લાગૂ કરવાને લઈને ઉભી થઈ છે. કારણ કે તેના કારણે જ્વેલર્સ મૂંઝવણમાં મુકાયા છે.વળી તેમા કેટલીક વિસંગતતાઓ છે.જેને દૂર કરવાની પણ પ્રબળ માંગ ઉઠી છે.
સરકાર દ્વારા ગોલ્ડ હોલમાર્કિંગની સાથે HUID કોડ(હોલમાર્ક યુનિક આઈડેન્ટીફીકેશન ડિજિટ) ફરજીયાત કર્યુ છે.આ કોડ નંબરની મદદથી જ્વેલરીનું ઉત્પાદન કરનાર કંપની,તેની ખરીદી કરનાર માલિક,સોનાની શુધ્ધતા, વજન સહીતની તમામ માહીતી બીઆઈએસ પોર્ટલ પર ઉપલબ્ધ થાય છે.જેની મદદથી સરકારને સોનામાં થતી ખરીદીની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે.આમ બીઆઈએસ પોર્ટલ પરથી સોનાની ખરીદીના ડેટા ઉપલબ્ધ થવાના કારણે આગામી સમય માં સોનામાં ઠલવાતા કાળા નાણાં પર પણ બ્રેક વાગશે તો બીજી તરફ ગ્રાહકોને શુધ્ધ સોનું મળતું થશે.