DIAMOND TIMES – ગુજરાતનું આર્થિક પાટનગર સુરત હીરા ઉદ્યોગનું હબ છે.સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત સહીત રાજય ના અન્ય વિસ્તારોમાંથી મીની ભારત તરીકે ઓળખાતા સુરતમાં રોજીરોટી માટે આવેલા અંદાજે દશ લાખથી પણ વધુ લોકો હીરા ઉદ્યોગમાં કાર્યરત છે.જે પૈકી મોટાભાગના લોકો દિવાળીના તહેવારમાં સહપરિવાર વતનમાં જતાં હોય છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખી રત્નકલાકારો સહીતના લોકો એસ.ટી. બસનો મહત્તમ લાભ લઈ શકે તે માટે સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ જગદિશભાઈ ખુંટ,મંત્રી દામજી માવાણી સહીતના હોદ્દેદારો તેમજ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ બાલુભાઈ વેકરીયા અને હોદ્દેદારોએ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ અંગે રજુઆત કરી હતી.
વાહન વ્યવહાર મંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપી યોગ્ય નિર્ણય લેવાની ખાત્રી આપી : દામજીભાઈ માવાણી
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રતિનિધી મંડળે રજુઆત કરતા કહ્યુ કે વર્ષ 2019 માં રત્ન કલાકારો સહીત હીરા ઉદ્યોગમાં કાર્યરત લાખો લોકો ઓછા ખર્ચે વતનમાં જઈ શકે એ માટે ગુજરાત સરકારે એસટી બસનુ સીંગલ ભાડુ કરી લોકોને મોટી રાહત આપી હતી.ત્યારે આગામી દીવાળીના વેકેશનમાં પણ એસટી બસનું સિંગલ ભાડુ કરી લોકોને રાહત આપવા માંગણી કરી હતી. મંત્રી દામજી માવાણીએ કહ્યુ કે આ અમારી આ માંગનો વાહન વ્યવહાર મંત્રી પુર્ણશભાઈ મોદીએ સકારાત્મક પ્રતિસાદ આપી ત્વરીત યોગ્ય નિર્ણય લેવાની અમને ખાત્રી આપી છે.