ભાજપનો સર્વે: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં સ્થિતિ પડકાર જનક, જિલ્લા-તાલુકા પંચાયતોમાં જીતવું અઘરૂ

219
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે.જેમા ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ભારે કશ્મકશ રહે એવી અટકળો લગાવાઈ રહી છે.મીડીયા અહેવાલ મુજબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો છે.જેમા બહાર આવ્યુ છે કે છ મહાનગર પાલિકામાં ભાજપના વિજય વાવટા ફરકવાની પુરી શક્યતા છે.તમામ છ મહાનગરપાલિકામાં ભાજપ તરફી વાતાવરણ હોવાનો સર્વેનો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બીજી તરફ જિલ્લા -તાલુકા પંચાયતમાં ભાજપ માટે કપરા ચડાણ હોવાનું સામે આવ્યુ છે.રાજ્યની 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે સ્થિતિ ખુબ પડકારજનક છે.
જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપની પીછેહટ પાછળનાં કારણોમા જોઇએ તો શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ નથી. વળી ગામડાના મતદારો શાણા અને સમજુ છે.તેઓ જ્ઞાતિવાદ, પરિવાર તથા સમાજવાદમાં માનતા હોવાથી રાજકીય પક્ષ કરતાં ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે.જેથી માત્ર ભાજપના સિમ્બોલથી ઉમેદવારોએ જીત મેળવવી અઘરી છે.ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભાજપ સરકારથી સંતુષ્ટ નથી. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી.પરંતુ ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે એવી પણ સંભાવનાઓ છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે.મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની ચુંટણી 21 ફેબ્રુઆરીએ જ્યારે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે.6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.