DIAMOND TIMES – રશિયાની રફ હીરાની કંપની અલરોઝાના કોર્પોરેટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના વડા સેરગેઈ તાકીવએ નિવેદન આપ્યુ છે કે વર્ષ 2017માં આવેલા ભયાનક પુરની દુર્ઘટના પછી બંધ પડેલી મીર ખાણને ફરીથી શરૂ કરવા સહીત તેના ભવિષ્ય અંગે આગામી મહિનાઓમાં જ નિર્ણય લેવાશે.ઉલ્લેખનિય છે કે મીર ખાણ દુર્ઘટનાના એક વર્ષ અગાઉ વર્ષ 2016 માં મીર ખાણમાથી પ્રતિવર્ષ 3.8 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન થતુ હતુ.વર્તમાન સમયે મીર ખાણના ભુગર્ભમાં હજુ પણ 68.6 મિલિયન કેરેટ રફ હીરાનો જથ્થો હોવાનું અનુમાન છે. જો મીર ખાણમાં કામગીરી શરૂ થાય અને રફ હીરાનું ઉત્પાદન મળતુ થાય તો અલરોઝાની કમાણીમાં 25 ટકાની વૃદ્ધિ થવાની સંભાવનાઓ પણ વ્યકત કરવામાં આવી છે.
ઓગસ્ટ 2017 માં પૂર્વી સાઇબિરીયાના મિર્નીમાં આવેલી અલરોઝાની માલીકીની હીરાની ખાણ મીરમાં અચાનક આવેલા ભયાનક પુરના કારણે પાણી ભરાઈ જવાથી ખાણમાં કામ કરતા આઠ કર્મચારીઓના દુખ:દ મૃત્યુ થયા હતા . જ્યારે અન્ય 143 કર્મચારીઓને માંડ માંડ મહામહેનતના અંતે ખાણામાથી સલામત રીતે બહાર લાવવામાં સફળતા મળી હતી.આ મોટી દુર્ઘટના બાદ અલરોઝાને આ મીર ખાણ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
દરમિયાન ગત જાન્યુઆરી મહીનામાં અલોરોઝાએ જાહેરાત કરી હતી કે મીર ખાણની સપાટીથી અંદાજીત 1200 થી 1600 મીટર નીચે કિમ્બર લાઈટ પાઈપ પર હીરા કાઢવાની કામગીરી ફરી શરૂ કરવાના હેતુથી પરીક્ષણ માટે શારકામ શરૂ કર્યું છે.