ચીન પછી ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણા, સરહદ પર શાંતિ રાખવા સહમત

241

બંને દેશો વચ્ચે અગાઉ થયેલી સમજૂતીઓ ફરી અમલમાં લવાશે

ડાયમંડ ટાઈમ્સ

સરહદોમા શાંતિ જાળવવાના મામલે ચીન અને ભારત વચ્ચે થયેલી વાતચીત બાદ ઘણા લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા પહેલ થઈ છે.બંને દેશના સૈન્ય અભિયાનોના ડાયરેક્ટર જનરલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમા બંને દેશો વચ્ચે જે સમજૂતીઓ થયેલી તેને ફરી અમલમાં લાવવા નક્કી થયું છે.

ભારતીય સેનાના લેફ્ટિનન્ટ જનરલ પરમજીત સિંહ અને તેમના પાકિસ્તાની સમકક્ષે હોટલાઈનના માધ્યમથી થયેલી વાતચીતમાં સીઝફાયરનું ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર મુદ્દો સહિત અનેક બાબતોની સમજૂતી પર ચર્ચા કરી હતી. બંને દેશોએ નિયંત્રણ રેખાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી. ત્યાર બાદ બંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

ભારત-પાકિસ્તાને સંયુક્ત વક્તવ્યમાં જણાવ્યું કે, બંને દેશો આંતરિક સમજૂતીઓ, કરારો અને સંઘર્ષવિરામના સખ્તાઈથી પાલન માટે રાજી છે. સાથે જ 24 અને 25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી નિયંત્રણ રેખાના તમામ ક્ષેત્રોમાં તેનું પાલન કરવામાં આવશે. બંને દેશોએ નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્વતંત્ર, સ્પષ્ટ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સ્થિતિની સમીક્ષા કરી હતી.

સરહદ પર સ્થાયી શાંતિ જાળવી રાખવા બંને DGMO એક-બીજાના પ્રમુખ મુદ્દાઓ અને ચિંતાઓ પર ધ્યાન આપવા સહમત થયા છે. બંને દેશોએ હોટલાઈન સંપર્કના વર્તમાન તંત્ર માટે સહમતિ વ્યક્ત કરી હતી. સાથે જ કોઈ પણ અનપેક્ષિત સ્થિતિ કે શંકાના નિવારણ માટે ફ્લેગ બેઠકોનો ઉપયોગ કરવા મામલે પણ સહમતિ દર્શાવી હતી. તે સિવાય વાતચીત દ્વારા તમામ વિવાદો ઉકેલવા પણ વાત થઈ હતી.

બંને દેશો વચ્ચે હોટલાઈન તંત્ર સ્થાપિત કરવામાં આવશે. જેની મદદથી બંને દેશો વચ્ચે સમય-સમય પર વાતચીત કરાશે, સીઝફાયર ઉલ્લંઘન, ફાયરિંગ, ઘૂસણખોરી સહિતના અન્ય મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે.ફરીથી નિયમિતપણે ફ્લેગ મીટિંગ શરૂ કરવામાં આવશે.તેના દ્વારા બંને દેશો વચ્ચે જે ગેરમાન્યતાઓ પ્રવર્તી છે તેને દૂર કરવામાં આવશે.